વ્યાપમ : પરીક્ષા કૌભાંડ સાથે સંકળાયેલા શંકાસ્પદોનાં મૃત્યુ

2013માં ભારત તેના ઇતિહાસના સૌથી મોટા પરીક્ષા કૌભાંડમાં સપડાયું હતું. તેનું કેન્દ્ર મધ્યપ્રદેશના વ્યવસાયિક પરીક્ષા મંડળ (વ્યાપમ) હતું. વ્યવસ્થાતંત્રને ડમી પરીક્ષાર્થીઓ, છેતરપિંડી તથા ગેરરીતિનો લૂણો લાગ્યો હતો. તેના પગલે આ કૌભાંડમાં સંડોવાયેલા હજારો લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

જોકે, કૌભાંડ 2013માં પ્રકાશમાં આવ્યાના વર્ષો પહેલાંથી આ કૌભાંડ સાથે સંકળાયેલા લોકોના એક પછી એક મૃત્યુ થતાં આ પ્રકરણમાં ચોંકાવનારો વળાંક આવ્યો હતો. તેમના મૃત્યુના કારણોમાં હાર્ટ એટેક અને છાતીમાં દુખાવાથી માંડીને માર્ગ અકસ્માત તથા આત્મહત્યાનો સમાવેશ થતો હતો. નોંધપાત્ર વાત એ હતી કે તમામના મૃત્યુ અકાળ અને રહસ્યમય હતાં.

ભારતની મધ્યસ્થ તપાસ સંસ્થા સીબીઆઈએ વ્યાપમ કૌભાંડ સંબંધી સંખ્યાબંધ મૃત્યુની તપાસ શરૂ કરી હતી. સવાલ એ હતો કે આ વ્યક્તિઓ કોણ હતી અને તેઓ કેવી રીતે મૃત્યુ પામી હતી? આ મૃત્યુ પાછળ કોઈ સ્પષ્ટ પૅટર્ન હતી?

વધુ જાણવા માટે સ્ક્રોલ કરો.

નમ્રતા ડામોર
ઉંમરઃ 19 વર્ષ
મૃત્યુનુ કારણઃ શંકાસ્પદ આત્મહત્યા

19 વર્ષની નમ્રતા ઈન્દોરની મહાત્મા ગાંધી મેડિકલ કૉલેજમાં મેડિકલ સાયન્સનો અભ્યાસ કરતાં હતાં. તેઓ જાન્યુઆરી, 2012ના શરૂઆતમાં ગુમ થઈ ગયાં હતાં. સાતમી જાન્યુઆરી, 2012ની રાતે નમ્રતાનો મૃતદેહ ઉજ્જૈનમાં રેલવે ટ્રૅક પાસેથી મળી આવ્યો હતો. પ્રારંભિક પૉસ્ટમૉર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે તેઓ ગૂંગળામણને કારણે, ખાસ કરીને હિંસક ગૂંગળામણને લીધે મૃત્યુ પામ્યાં હતાં, તેથી તેમના મૃત્યુને હિંસા તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું હતું.

નમ્રતાના હોઠ પર ઉઝરડા હોવાનું તથા તેના કેટલાક દાંત તૂટી ગયા હોવાનું પ્રારંભિક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. જોકે, પોલીસે બાદમાં પ્રારંભિક તારણોને ફગાવી દીધાં હતાં અને બીજા પૉસ્ટમૉર્ટમ પછી તેમના મૃત્યુને આત્મહત્યા તરીકે વર્ગીકૃત કર્યું હતું.

નમ્રતાના મૃત્યુનાં ત્રણથી વધુ વર્ષ પછી અગ્રણી સમાચાર સંસ્થાના એક પત્રકાર અક્ષયસિંહ નમ્રતાના મૃત્યુ સંબંધે તેમના પિતાનો ઇન્ટરવ્યૂ કરવા ગયા હતા. ઇન્ટરવ્યૂના રેકૉર્ડિંગ પહેલાં તેમને ખાંસી આવવા લાગી હતી અને કફ નીકળવા લાગ્યો હતો.

અક્ષય સિંહ
ઉંમરઃ 38 વર્ષ
મૃત્યુનું કારણઃ અજ્ઞાત

નમ્રતા ડામોરના 2012માં થયેલા રહસ્યમય મૃત્યુના અનુસંધાને તેમના પિતા મેહતાબસિંહ ડામોરને મધ્યપ્રદેશના ઝાબુઆ ખાતેના તેમના ઘરે મળવા અક્ષયસિંહ પહોંચ્યા હતા. મેહતાબસિંહ અક્ષયસિંહ સાથે વાતચીત કરવા સહમત થયા હતા. બન્ને બેઠા અને મેહતાબસિંહે તેમને અરજીઓની, પોલીસ તથા કોર્ટના રિપોર્ટની ફોટોકૉપીતેમની સામે બેઠેલા અક્ષયસિંહને આપી હતી. પછી ચા આપવામાં આવી હતી. ચાની ચૂસકી લેતાંની સાથે જ અક્ષયસિંહનો ચહેરો સજ્જડ થઈ ગયો હતો અને તેઓ હોઠ પર ફીણ સાથે જમીન પર પડી ગયા હતા.

એ ઘટનાને યાદ કરતાં, અક્ષયસિંહને ડામોરના ઘરે લઈ ગયેલા ઇન્દોરસ્થિત પત્રકાર રાહુલ કરૈયાએ કહ્યું હતું, "અમે તેમને જમીન પર સુવડાવ્યા હતા, તેમનાં કપડા ઢીલાં કર્યાં હતાં અને તેમના ચહેરા પર પાણી છાંટ્યું હતું. મેં તેની નાડી તપાસી હતી અને મને તત્કાળ ખબર પડી ગઈ હતી કે અક્ષયસિંહનું મૃત્યુ થયું છે."

અક્ષયસિંહને પહેલાં સિવિલ હૉસ્પિટલ અને બાદમાં એક ખાનગી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ડૉક્ટરો તેમને બચાવવામાં નિષ્ફળ રહ્યા હતા. પૉસ્ટમૉર્ટમ રિપોર્ટમાં આ કિસ્સો હાર્ટ ઍટેકનો હોવાનું અને મૃત્યુના સમયે અક્ષયસિંહના હૃદયનું કદ મોટું થઈ ગયું હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.

તેના એક દિવસ પછી, વ્યાપમ કૌભાંડમાં સંડોવાયેલા વિદ્યાર્થીઓની યાદી બનાવી રહેલા રાજ્યની એક સરકારી મેડિકલ કૉલેજના ડીન નવી દિલ્હીની એક હોટલમાંથી મૃત અવસ્થામાં મળી આવ્યા હતા.

ડો. અરુણ શર્મા
ઉંમરઃ 64 વર્ષ
મૃત્યુનું કારણઃ અજ્ઞાત

ડૉ. શર્મા જબલપુર મેડિકલ કૉલેજના ડીન હતા અને તેમણે મધ્યપ્રદેશની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ)ને કથિત રીતે 200 દસ્તાવેજ સુપરત કર્યા હતા. ડૉ. શર્માએ પરીક્ષા કૌભાંડમાં કથિત રીતે સંકળાયેલા વિદ્યાર્થીઓનાં નામની યાદી બનાવી હતી. અક્ષયના મૃત્યુના એક દિવસ બાદ ડૉ. શર્મા દિલ્હી ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીકની હોટલ ઉપ્પલમાં પલંગ પર મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેઓ ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન વતી ઇન્સપેક્શન માટે ત્રિપુરાની રાજધાની અગરતલા જઈ રહ્યા હતા.

પોલીસને તેમના રૂમમાં દારૂની એક ખાલી બૉટલ મળી આવી હતી. ડૉ. શર્માએ કથિત રીતે પુષ્કળ દારૂ પીધો હતો અને રાત દરમિયાન ઊલટી કરી હતી. તેમનું મૃત્યુ "કુદરતી કારણોસર" થયું હોવાનું જણાવીને તપાસ અધિકારીઓએ આ કેસની તપાસ બંધ કરી દીધી હતી. યોગાનુયોગ ડૉ. શર્મા મેડિકલ કૉલેજના એવા બીજા ડીન હતા, જે રહસ્યમય સંજોગોમાં મૃત્યુ પામ્યા હતા. એક વર્ષ પહેલાં જબલપુર મેડિકલ કૉલેજના એક અન્ય ડીને તેમના ઘરની પાછળના બગીચામાં ખુદને આગ ચાંપીને આત્મહત્યા કરી હતી.

ડો. ડી કે સકલે
ઉંમરઃ -
મૃત્યુનું કારણઃ શંકાસ્પદ આત્મહત્યા

જબલપુર મેડિકલ કૉલેજના તત્કાલીન ડીન ડૉ. ડી. કે. વ્યાપમ કૌભાંડ સંબંધે કૉલેજની આંતરિક તપાસની કામગીરી સંભાળતા હતા. સવારે 8.45 વાગ્યાની આસપાસ તેઓ તેમના ઘરમાંથી સળગતી હાલતમાં બહાર ધસી આવતા જોવા મળ્યા હતા. ત્યારે તેમનાં પત્ની મૉર્નિંગ વોક માટે ગયાં હતાં.

પોલીસે બાદમાં દાવો કર્યો હતો કે તે આત્મહત્યાનો કેસ છે અને તેમાં કશું શંકાસ્પદ બહાર આવ્યું નથી. જોકે, કૌભાંડમાં સંડોવાયેલા વ્હિસલબ્લોઅર્સે દાવો કર્યો હતો કે તે આત્મહત્યાનો કેસ નથી. તેમણે ડૉ. ડી કેના અસામાન્ય મૃત્યુની કેન્દ્રીય તપાસની માગણી કરી હતી.

નરેન્દ્ર રાજપૂત
ઉંમરઃ 35 વર્ષ
મૃત્યુનું કારણઃ અજ્ઞાત.

નરેન્દ્ર રાજપૂતે ઝાંસીની એક કૉલેજમાંથી બૅચલર ઑફ આયુર્વેદિક મેડિસિન ઍન્ડ સર્જરી (બીએએમએસ)ની ડિગ્રી મેળવી હતી. તેઓ તેમના ગામડે પરત ફર્યા હતા અને તેમના અકાળ મૃત્યુના માત્ર છ માસ પહેલાં હરપાલપુરમાં એક દવાખાનું શરૂ કર્યું હતું.

નરેન્દ્રે 13 એપ્રિલ, 2014ના રોજ ખેતરમાં કામ કરતી વખતે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી અને ઘરે પાછા ફર્યા હતા, પરંતુ ઘરના દરવાજે જ ફસડાઈ પડ્યા હતા. તેમના મૃત્યુનું સ્પષ્ટ કારણ પૉસ્ટમૉર્ટમમાં જાણવા મળ્યું ન હતું, પરંતુ સરકારની ખેડૂત વીમા યોજના હેઠળ વીમાનો દાવો કરવા તેમના પરિવારે ફરિયાદ દાખલ કરી હતી. જોકે, અનિર્ણિત પૉસ્ટમૉર્ટમ રિપોર્ટને કારણે તેમનો દાવો સ્વીકારી શકાયો ન હતો.

એ ઉપરાંત, નરેન્દ્રની વ્યાપમ કૌભાંડમાં "વચેટિયા" તરીકે સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું. તેમના સગાસંબંધીના જણાવ્યા અનુસાર, નરેન્દ્રના મૃત્યુના મહિનાઓ પછી પોલીસે તેમના ઘરની મુલાકાત લીધી ત્યારે આ હકીકત બહાર આવી હતી.

સરકારી અંદાજ અનુસાર, 2007થી 2015 દરમિયાન વ્યાપમ કૌભાંડ સાથે સંકળાયેલા 32 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જોકે, સ્વતંત્ર મીડિયા અહેવાલો અનુસાર, મૃતકાંક ઊંચો છે અને આવાં 40થી વધારે મૃત્યુ થયાં છે. મીડિયા દ્વારા રિપોર્ટ કરવામાં આવેલા અને સીબીઆઈ તથા એસટીએફ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં સમાવાયેલાં મૃત્યુ બાબતે અમે તપાસ કરી હતી.

વ્યાપમ કૌભાંડમાં કથિત મૃતકાંક વધારે છે.

  • શૈલેષ યાદવ
  • વિકાસ પાંડે
  • આનંદ સિંહ યાદવ
  • અંશુલ સચાન
  • જ્ઞાન સિંહ યાદવ
  • તરુણ મચાર
  • ડો. રાજેન્દ્ર આર્ય
  • પ્રમોદ શર્મા
  • દેવેન્દ્ર નાગર
  • બન્ટી સિકરવાર
  • દિનેશ જાટવ
  • નરેન્દ્ર સિંહ તોમર
  • અરવિંદ શાંક્યા
  • આશુતોષ તિવારી
  • કુલદીપ મારાવી
  • વિકાસ ભરત સિંહ
  • ડો. રામેન્દ્ર સિંહ ભદોરિયા
  • લલિત કુમાર ગોલરિયા
  • વિજય છોટેલાલ સિંહ
  • અમિત સાગર
  • પ્રવીણ યાદવ

પરીક્ષામાં કેવી રીતે ગેરરીતિ આચરવામાં આવી હતી?

વ્યાપમ પરીક્ષામાં આચરવામાં આવેલી ગેરરીતિ તથા છેતરપિંડીમાં વચેટિયા, વિદ્યાર્થીઓ, કૉલેજના કર્મચારીઓ, બહારના લોકો તેમજ વગદાર તબીબો તથા રાજકારણીઓ સહિતની વ્યક્તિઓ સંડોવાયેલી હતી.

ડમી ઉમેદવારો

ડમી ઉમેદવારોએ અસલી ઉમેદવારો વતી પરીક્ષા આપી હતી. આ ગેરરીતિમાં સંડોવાયેલા વચેટિયા ડમી ઉમેદવારોની વ્યવસ્થા કરી આપવા માટે અસલી ઉમેદવારો પાસેથી પૈસા પડાવતા હતા.

વિદ્યાર્થીઓ વતી ઢોંગ કરનારાઓને અનુસરતા પગલાં

હેરાફેરીનો વ્પાપ પરીક્ષાકેન્દ્રો સુધી હતો, જ્યાં આ છેતરપિંડીનો માર્ગ મોકળો કરવામાં આવ્યો હતો. સમગ્ર કામગીરીમાં વચેટિયા, ડમી ઉમેદવારો અને પરીક્ષાકેન્દ્રનું નેટવર્ક હતું. એ બધા પરીક્ષાની અક્ષુણ્ણતાને નબળી પાડવા માટે એકમેકની સાથે કુલડીમાં ગોળ ભાંગતા હતા.

એન્જિન-બોગી સિસ્ટમ

રોલ નંબરોમાં ફેરફાર બહુ સામાન્ય વાત હતી. તેમાં છેતરપિંડી કરી શકાય એટલા માટે ઉમેદવારોના રોલ નંબરમાં હેરફેર કરવામાં આવતી હતી. ડમી ઉમેદવાર (એન્જિન)ને ઉમેદવાર(બોગી)ની નજીક વ્યૂહાત્મક રીતે બેસાડવામાં આવતો હતો, જેથી છેતરપિંડીને અનુકુળ વાતાવરણ સર્જી શકાય. બન્ને એકમેકની નજીક હોવાને કારણે તેઓ સવાલ-જવાબની આસાનીથી આપલે કરી શકતા હતા. ડમી ઉમેદવાર મૂળ ઉમેદવારને વધુ ગુણાંક મેળવવામાં મદદ કરતો હતો.

એન્જિન બોગી સિસ્ટમની છબી

માર્કશીટમાં ચેડાં

પરીક્ષાની પ્રક્રિયામાં સંકળાયેલા વચેટિયાનો લાભ લઈને ઉમેદવારો તેમની આન્સર શીટ સહેતુક કોરી છોડી દેતા હતા.

વચેટિયાઓ માર્કશીટ સાથે ટેમ્પરિંગ કરે છે

આ વચેટિયા તેમની કમ્પ્યૂટર સિસ્ટમ પર આન્સર શીટમાં હેરફેર કરતા હતા. ઉમેદવારને પાસિંગ માર્ક્સ મળ્યા છે તે સુનિશ્ચિત કરવા ફેરફાર કરતા હતા.

એ ઉપરાંત કેટલાક ઉમેદવારો એવા હતા કે જેઓ આ પરીક્ષા આપવાની પાત્રતા મેળવવા અને ભરતીપ્રક્રિયાને બાયપાસ કરવા માટે જ પૈસા આપતા હતા. તે સિવાય રાજકારણીઓ અને ડૉક્ટર જેવા પ્રભાવકર્તાઓ હતા, જેઓ ભરતીપ્રક્રિયામાં સીધી રીતે સંકળાયેલા ન હતા, પરંતુ નાણાકીય લાભ મેળવવા માટે આવી ગેરરીતિનો લાભ લેતા હતા.

વ્યાપમ કૌભાંડમાં છેતરપિંડી અને ગેરરીતિ સાથે સંકળાયેલા મોટા ભાગના શકમંદો અને રહસ્યમય સંજોગોમાં મૃત્યુ પામેલા લોકો વચેટિયા હતા.

આવા કેસમાં શંકાસ્પદ મૃત્યુના આંકમાંની વિસંગતતાને લીધે શંકા બળવત્તર બની હતી અને તમામ કેસની સંપૂર્ણ તથા નિષ્પક્ષ તપાસની જરૂરિયાત તીવ્ર બની હતી. તેમાં સીબીઆઈને સાંકળવાનો હેતુ આ દુર્ઘટનાઓ પર પ્રકાશ ફેંકવાનો અને તમામ મૃત્યુ વચ્ચે કોઈ સમાનતા છે કે નહીં તે જાણવાનો છે.

જોકે, આવા અસંખ્ય મૃત્યુની તપાસમાં મોટો અવરોધ આવ્યો હતો, કારણ કે તેમની પાસે પૂરતા અને નક્કર પુરાવાનો અભાવ હતો. પરિણામે અનેક કેસ બંધ કરી દેવામાં આવ્યા હતા. નમ્રતા ડામોરનો અચેતન દેહ ઉજ્જૈનમાં રેલવેના પાટા નજીકથી રહસ્યમય સંજોગોમાં મળી આવ્યો હતો. નમ્રતાના કેસમાં સીબીઆઈએ સ્પેશિયલ કોર્ટમાં ત્રીજી વખત ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે. તેમનું મૃત્યુ આત્મહત્યા હોવાનું તારણ કાઢવામાં આવ્યું છે. નમ્રતાના પિતા મેહતાબ ડામોરે બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું કે તેઓ તપાસથી સંતુષ્ટ નથી.